કળીયુગમાં કેવી સ્થિતી હશે

0 Shares
0
0
0

એકવખત યુધિષ્ઠીર સિવાયના ચાર પાંડવો ભગવાન શ્રીકૃષ્ણને મળવા માટે ગયા હતા. ચારે પાંડવોએ કળયુગમાં માણસ કેવી રીતે જીવતો હશે અને કળીયુગમાં કેરૂવી સ્થિતી પ્રવર્તતી હશે એ જાણવાની ઇચ્છા બતાવી એટલે ભગવાન શ્રીકૃષ્ણએ ચારે દિશાઓમાં એક એક બાણ છોડ્યુ અને પછી ચારે ભાઇઓને એ બાણ શોધી લાવવા માટે આજ્ઞા કરી.

અર્જુન જે દિશામાં બાણ લેવા ગયો ત્યાં એણે એક વિચિત્ર ઘટના જોઇ. એક કોયલ મધુર અવાજે ગીતો ગાતી હતી. અર્જુનના પગ થંભી ગયા એણે કોયલ તરફ જોયુ તો આશ્વર્યથી આંખો પહોળી થઇ ગઇ. મધુર કંઠે ગીતો ગાનારી કોયલ એક સસલાનું માંસ પણ ખાતી જતી હતી. સસલુ દર્દથી કણસતુ હતુ અને કોયલ ગીત ગાતા ગાતા એનું માંસ ખાતી હતી.

ભીમ જે દિશામાં બાણ લેવા ગયો ત્યાં એને પણ એક કૌતુક જોયુ. એક જગ્યાએ પાંચ કુવાઓ હતા. ચાર કુવાઓ પાણીથી ઉભરાતા હતા. આ ચારે કુવાની બરોબર વચ્ચે પાંચમો કુવો હતો જે સાવ ખાલી હતો. ભીમને એ ન સમજાણું કે ચાર કુવાઓ ઉભરાય છે તો વચ્ચેનો પાંચમો કુવો સાવ ખાલી કેમ છે ?

નકુલ જે દિશામાં બાણ લેવા ગયો હતો ત્યાં તેણે એક ગાયને બચ્ચાને જન્મ આપતા જોઇ. બચ્ચાને જન્મ આપ્યા બાદ ગાય એને ચાટવા લાગી. થોડીવારમાં બચ્ચાના શરીર પરની ગંદકી સાફ થઇ ગઇ આમછતા પણ ગાયે ચાટવાનું ચાલુ જ રાખ્યુ. હવે તો નાના બચ્ચાની કોમળ ચામડીમાંથી લોહી નીકળવા લાગ્યુ તો પણ ગાયે ચાટવાનું ચાલુ જ રાખ્યુ.

સહદેવ જે દિશામાં બાણ લેવા ગયા ત્યાં એમણે પણ એક આશ્વર્યજનક ઘટના જોઇ. કોઇ મોટા પર્વત પરથી શીલા નીચે પડી રહી હતી. નીચે ગબડતી આ શીલા રસ્તામાં આવતા નાના-મોટા પથ્થરો અને વૃક્ષોને ધરાશયી કરતી તળેટી તરફ આગળ વધી રહી હતી પણ એક નાનો છોડ વચ્ચે આવ્યો અને શીલા અટકી ગઇ.

ચારે પાંડવોએ પરત આવીને એમણે જોયેલી ઘટનાની વાત ભગવાન શ્રીકૃષ્ણને કરી અને એનો મતલબ સમજાવવા વીનંતી કરી. ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યુ કે ‘આ ચારે ઘટના કળયુગમાં કેવી સ્થિતી હશે તે બતાવે છે. સાધુઓ કોયલની જેમ મીઠા અવાજે વાતો કરશે અને સસલા જેવા ભોળા અનુયાયીઓનું દર્દ દુર કરવાના બહાને એનું શોષણ કરશે.

ચાર કુવાઓ પાણીથી ઉભરાતા હતા છતા બાજુમાં જ રહેલા કોરા કુવાને એક ટીપુ પાણી આપતા નહોતા એમ કળીયુગમાં અમીરોને ત્યાં સંપતિની રેલમછેલ હશે પણ એ એક પૈસો પણ આજુબાજુની જરૂરીયાતમંદ વ્યક્તિઓને નહી આપે.

ગાયે એના બચ્ચાને ચાટી ચાટીને ચામડી પણ ઉતરડી નાંખી તેમ કળયુગમાં મા-બાપ પોતાના સંતાનોને જરુરથી વધારે લાડલડાવીને માયકાંગલા કરી નાંખશે અને પોતાના જ સંતાનોને હાની પહોંચાડશે.

પર્વત પરથી પડતી શીલાની જેમ કળીયુગમાં માણસનું ચારિત્ર્ય પણ સતત નીચે પડતું રહેશે. નીચે પડતા આ ચારીત્ર્યને બીજુ કોઇ નહી અટકાવી શકે પણ જો માત્ર પ્રભુના આશરા રૂપી કે સત્સંગ રૂપી નાનો છોડ હશે તો એનાથી ચારિત્ર્ય નીચે પડતું અટકી જશે.”

*ચારે પાંડવોને કળીયુગમાં કેવી સ્થિતી હશે તે બરોબર સમજાય ગયુ.*